ભક્તોના અભિમાનનો ભંગ (૧): અર્જુન

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું . દુર્યોધન અને તેની સેનાનો નાશ થયો હતો . ત્યારની આ કથા છે.

ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો , દુર્યોધનની છાવણી પર આવે છે . ત્યાં ભગવાન કેશવ કહે છે:

अवरोपय गाण्डीवमक्षयौ च महेषुधी।
अथाहमवरोक्ष्यामि पश्चाद्भरतसत्तम।
स्वयं चैवावरोह त्वमेतच्छ्रेयस्तवानघ।।

— મહાભારત , શલ્ય પર્વ , અધ્યાય ૬૩
“હે અર્જુન તું સ્વંય આ રથ પરથી ઉતર અને ત્યાર બાદ તેમાંથી આ અક્ષય તરકસ અને ગાંડીવ ધનુષ ઉતારી લો. ત્યાર બાદ હું આ રથ પરથી ઉતરીશ. આ જે હું તને કરવા કહું છું એ તારા ભલા માટે છે”

અર્જુનને કેશવની આ વાત યોગ્ય ના લાગી .  યુદ્ધનાં નિયમ પ્રમાણે સારથિ સહુ પ્રથમ રથને છોડે  છે ત્યાર બાદ ધનુર્ધારી રથ ઉપરથી ઉતરે છે . આથી અર્જુનને નાનમ આવી . તદુપરાંત  તેનામાં એક ગુપ્ત અહંકાર ઘર કરી ગયો હતો કે તેના ગાંડીવનાં બળ ઉપર આ યુદ્ધ જીતી શક્યા છે . ભીષ્મ પિતામહ, કર્ણ અને આચાર્ય દ્રોણ જેવા અનેક મહાબળીને તેણે પરાસ્ત કર્યાં  છે . ભગવાન શ્રી કૃષ્ણ આ વાત જાણી ગયા અને પોતાના ભક્તનો અહંકાર સાખી ના શકયા . અર્જુનને યોગ્ય બોધ આપવા તેમણે  આ પ્રમાણે કરવા કહ્યું

तच्चाकरोत्तथा वीरः पाण्डुपुत्रो धनञ्जयः।।

મને-કમને , અર્જુન આ વાત માની અને એ પ્રમાણે કર્યું .

अथ पश्चात्ततः कृष्णो रश्मीनुत्सृज्य वाजिनाम्।
अवारोहत मेधावी रथाद्गाण्डीवधन्वनः।।

ત્યાર બાદ ભગવાને ઘોડાઓની લાગામ છોડી દીધી . અને સ્વંય રથ પરથી ઉતરી ગયાં

अथावतीर्णे भूतानामीश्वरे सुमहात्मनि।
कपिरप्याश्वपाक्रामत्सहदेवैर्ध्वजालयैः।।

ભગવાન શ્રી કૃષ્ણ જે, સર્વ દેહધારીઓના ઈશ્વર છે તે જ્યારે આ રથ પરથી ઉતર્યા કે તરત જ રથ ઉપર બેઠેલા દિવ્ય કપિ શ્રી હનુમાનજી અંતર્ધાન થઇ ગયા . આ જોઈ અર્જુનનાં મનમાં કૌતુક થયું પણ તે શાંત ત્યાં ઉભા રહ્યાં.

स दग्धो द्रोणकर्णाभ्यां दिव्यैरस्त्रैर्महारथः।
अथ दीप्तोऽग्निना ह्याशु प्रजज्वाल महीपते।।
सोपासङ्गः सरश्मिश्च साश्वः सयुगबन्धनः।
भस्मीभूतोऽपतद्भूमौ रथो गाण्डीवधन्वनः।।

એ રથ જે દ્રોણાચાર્ય  અને કર્ણના દિવ્યાસ્ત્રોથી દગ્ધ (બળી ગયેલો) પહેલેથી નાશ પામ્યો હતો તે વિના કોઈ અગ્નિ વગર પ્રજ્વલ્લિત થઇ ઉઠ્યો . તેના સર્વ ઉપકરણ, કરામત, ઘૂંસરી (ધુરા) , ધરી ( આકાર), ઘોડા અને લગામ સર્વ બળીને ભસ્મ થઇ ગયાં .

तं तथा भस्मभूतं तु दृष्ट्वा पाण्डुसुताः प्रभो।
अभवन्विस्मिता राजन्नर्जुनश्चेदमब्रवीत्।।

આખો રથ ક્ષણ ભરમાં ભસ્મીભૂત થઇ રાખનો ઢગલો  બની ત્યાં પડ્યો . આ ઘટના જોઈ સર્વ પાંડવો હેરાન થયા અને અર્જુન તો અત્યંત  આશ્ચર્યચકિત થઇ ગયો .

कृताञ्जलिः सप्रणयं प्रणिपत्याभिवाद्य ह।
गोवन्द कस्माद्भगवन्रथो दग्धोऽयमग्निना।।
किमेतन्महदाश्चर्यमभवद्यदुनन्दन।
तन्मे ब्रूहि महाबाहो श्रोतव्यं यदि मन्यसे।।

અર્જુન બે હાથ જોડી ભગવાન સામે વિનતી  કરી પૂછ્યું “હે ગોવિંદ , આ કેવી અદભુત ઘટના બની, આ રથ આમ અચાનક કેવી રીતે બળીને રાખ થઇ ગયો . જો આનું કારણ સાંભળવામાં યોગ્ય હોય તો તમે મને કૃપા કરીને જણાવો .”

द्रोणकर्णास्त्रनिर्दग्धः पूर्वमेवायमर्जुन।
मदास्थितत्वात्समरे न विशीर्णः परन्तप।।
इदानीं तु विशीर्णोऽयं दग्धो ब्रह्मास्त्रतेजसा।
मया विमुक्तः कौन्तेय त्वय्यद्य कृतकर्मणि।।

વાસુદેવ  હસતાં  તેનું કારણ સમજાવતા કહ્યું ” યુદ્ધમાં અનેક પ્રકારનાં અસ્ત્રો, શસ્ત્રો, આયુધ અને દિવ્યાસ્ત્રોનાં મારથી આ રથ કયારનો નાશ પામ્યો હતો . પણ મારા એના પર બેસવાથી એનો નાશ થયો ના હતો . હે અર્જુન  , જ્યારે તારા સર્વ કાર્યો પુરા થયા ત્યારે મેં આ રથનો ત્યાગ કર્યો અને તે ભસ્મ થઇ ગયો . આ રથ બ્રહ્માસ્ત્રના તેજથી સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ચુક્યો  હતો. ”

“તારા ધ્યાનમાં તો  એ આવ્યું જ હશે કે આ રથ ઉપર એક કપિ બિરાજમાન હતો . તે સ્વયં હનુમાનજી હતાં . જેમને બ્રહ્માજીનું વરદાન હતું કે દેવ , દાનવ કે માનવના બનાવેલ કોઈ પણ પ્રકારના શસ્ત્રો તેમને કોઈ પણ રીતે અને સંજોગોમાં આંચ નહી પહોચાડી શકે . આથી આ રથને તેમની સુરક્ષાની હુફ હતી . જેવો મેં આ રથનો ત્યાગ કર્યો તેવા જ તે અદૃશ્ય થયા અને આ રથનું એ કવચ નીકળી ગયું અને ત્યાર બાદની ઘટના તારી સમક્ષ છે .”

અર્જુન આભો બની ગયો . ભગવાનની આવી કૃપા પોતાના પર છે તે જાણી ગળગળો  થઇ ગયો . પોતાનું એ અભિમાન તરત ઉતરી ગયું અને કેશવની માફી માંગી તથા મનોમન શ્રી હનુમાનજીને વંદન કર્યાં .


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading