Archive for the ‘સામ’ Tag

જાણવા જેવું : ભગવાન વિષ્ણુ ૨

ગત મહિને સંપાદન કરેલા “ભગવાન વિષ્ણુ” વિષેના પ્રથમ અંકના અનુસંધાનમાં (તારીખ નવેમ્બર  ૨૧ , ૨૦૧૨) આ બીજો ભાગ છે.

न तस्य कश्चिद्दयितः प्रतीपो न ज्ञातिबन्धुर्न परो न च स्वः । २२

श्रीमद भागवत् महापुरणम्   ( स्कंध ६ , अध्याय १७ )

અર્થાત ભગવાન સર્વમાં સમ અને માયા જેવા મળથી રહિત છે. તેમનું કોઈ પ્રિય-અપ્રિય, જાતિ-બંધુ  અને પોતાનું કે પારકું  નથી.

છતાં ભગવાન સ્વયં  કહે છે :

न तथा मे प्रियतमः आत्मयोनिः न शङ्करः।
न च सङ्कर्षणः न श्रीः न एव आत्मा च यथा भवान्॥

— ઉદ્ધવ ગીતા ( श्रीमद भागवत् महापुरणम्  સ્કંધ ११, અધ્યાય १4)

હે ઉદ્ધવ મને તારા જેવા પ્રેમી ભક્ત જેટલા પ્રિયતમ છે એટલા પ્રિય તો મારા આત્મા ભગવાન શંકર , મારો પુત્ર બ્રહ્મા ,  મારી પત્ની લક્ષ્મીજી અને મારો ભાઈ સંકર્ષણ (બલરામ)પણ નથી .

તેમની જિહ્વા દેવી સરસ્વતી છે. અગ્નિ તેમનું મુખ  છે.  જળ તેમનો પરસેવો છે.

 

द्वयोश्च अंतरं नास्ति एकरूपमहात्मनोः
शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे
शिवस्य हृदयं विष्णुर्विष्णोश्च हृदयं शिवः

– પદ્મ પુરાણ , ભૂમિ ખંડ, અધ્યાય ૭૧

ઈંદ્રનો સારથિ માતલિ રાજા યયાતિને ભગવાન શિવ અને શ્રી વિષ્ણુનું સ્વરૂપ સમજાવતાં કહે છે –
અર્થાત – ભગવાન શિવ અને શ્રી વિષ્ણુનાં લોક એક જેવાં છે , એ બંન્નેમાં કોઈ અંતર નથી કારણકે એ બે મહાત્મામાંનું સ્વરૂપ એક છે. શ્રીવિષ્ણુરૂપધારી શિવ છે અને શ્રી શિવરૂપધારી વિષ્ણુ છે. શ્રી શિવનાં હૃદયમાં વિષ્ણુનો અને શ્રી વિષ્ણુનાં હૃદયમાં શિવનો વાસ છે

 

प्रसन्नचारुवदनं पद्मपत्रायतेक्षणम् ।।
सुकपोलं सुविस्तीर्णं ललाटफलकोज्ज्वम् ।। ४७-५६ ।।

समकर्णांसविन्य स्तचारुकर्णोपभूषणम् ।।
कम्बुग्रीवं सुविस्तीर्णश्रीवत्सांकितवक्षसम् ।। ४७-५७ ।।

बलित्रिंभागिना भुग्ननाभिना चोदरेण वै ।।
प्रलंबाष्टभुजं विष्णुमथ वापि चतुर्भुजम् ।। ४७-५८ ।।

— નારદ પુરાણ , પૂર્વાર્ધ અધ્યાય ૪૭

જ્ઞાની કેશિધ્વજ યોગનું જ્ઞાન આપતાં રાજા ખાંડિક્યને ભગવાન વિષ્ણુનું મૂર્તિમંત સ્વરૂપ સમજાવતાં કહે છે કહે છે “ભગવાનનું મુખ પ્રસન્ન અને મનોહર છે. તેમનાં નેત્ર વિકસિત કમલદલના સમાન વિશાળ અને છે , તેમનાં ગાલ (કપોલ) સોહામણાં અને સુંવાળા છે. લલાટ (કપાળ) મોટું અને પ્રકાશથી ઉદ્ધસિત (પ્રબળ) છે. એમનાં બન્ને કાન બરાબર છે અને એનાં પાર ધારણ કરેલાં કુંડળ ખભા સુધી લટકે છે. તેમની ગ્રીવા (ડોક) શંખ જેવી શોભા ધારણ કરે છે. વિશાળ વક્ષ:સ્થળ પાર શ્રી વત્સ ચિહ્નન સુશોભિત છે. તેમનાં ઉદર ઉપર તિરંગાકાર ત્રિવલિ અને ઊંડી નાભિ છે ”

સનત્કુમાર શુક્રાચાર્યને ભગવાન વિષ્ણુનો મહાત્મ સમજાવતા કહે છે:

पादौ तस्य महीं विद्धि मूर्धानं दिवमेव च।
बाहवस्तु दिशो दैत्य श्रोत्रमाकाशमेव च।।
तस्य तेजोमयः सूर्यो मनश्चन्द्रमसि स्थितम्।
बुद्धिर्ज्ञानगता नित्यं रसस्त्वप्सु प्रवर्तते।।

–મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૮૬

અર્થાત: પૃથ્વી તેમના ચરણ છે . સ્વર્ગલોક તેમનું મસ્તક છે . દિશાઓ તેમની  ભુજા છે.આકાશ તેમનાં કાન છે . સૂર્ય તેમના નયન છે. અને ચંદ્ર તેમનું મન છે .સંપૂર્ણ ગ્રહોની સ્થિતિ એમની ભ્રકુટિમાં સ્થિર છે .અને નક્ષત્ર સમૂહ તેમના નેત્રનાં તેજથી પ્રગટ થાય છે .

सत्त्वं यस्य प्रिया मूर्तिब्रॉह्मणास्त्विष्टदेवताः | १८  

–શ્રીમદ ભાગવત મહાપુરાણ ( દસમો સ્કંધ , ૮૯ અધ્યાય )

સત્ય તેમની પ્રિય મૂર્તિ છે અને બ્રાહ્મણ તેમના ઇષ્ટ દેવતા છે.

तं ताक्ष्यॅपुत्रः स निरस्य  मन्यमान्  प्रचण्डवेगो मधुसूदनासनः  | ૭

–શ્રીમદ ભાગવત મહાપુરાણ ( દસમો સ્કંધ , ૧૭ અધ્યાય )

અર્થાત: તાક્ષ્ર્યૅ નંદન ગરૂડજી વિષ્ણુ ભગવાનના વાહન છે . તેઓ   વેગ અને પરાક્રમમાં અતુલનીય છે.

તેમના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તે ક્ષીર સમુદ્રમાં (દૂધનો સાગર) શેષનાગ પર શયન કરે છે.

તેઓ રૂપ, રંગ, રસ , ગંધ અને આકારથી શૂન્ય છે. તેઓ વર્ણ, નામ અને વિશેષણથી પણ રહિત છે.  रूपवर्णादिनिर्देश विशेषणविवर्जित  | (વિષ્ણુ પુરાણ)

नाहं विरित्र्चो न कुमारनारदौ न ब्रह्मापुत्रा मुनयः सुरेशाः ।
विदाय यस्येहितमंशकांशका न तत्स्वरुपं पृथगीशमानिनः ॥३२॥

–શ્રીમદ ભાગવત મહાપુરાણ ( છઠ્ઠો    સ્કંધ , ૧૭  અધ્યાય )

ભગવાન શંકર કહે છે કે “હું , બ્રહ્મા , સનકાદિ મુની, નારદ, બ્રહ્માજીના પુત્રો  , મોટા દેવતાઓ – કોઈ પણ ભગવાનની લીલાનું રહસ્ય પામી શકતા નથી. તો આવી અવસ્થામાં જે તેમનાં નાનામાં નાનો અંશ છે અને જે પોતાને ભગવાનથી અલગ માને છે તે ભગવાનનાં  મૂળ  સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકે ?”

न नामरूपे  गुणजन्मकर्मभिर्निरुपितव्ये  तव  तस्य  साक्षिणः  |

અર્થાત: ગુણ , જન્મ કે કર્મ આદિ દ્વારા ભગવાનના રૂપનું નિરૂપણ નથી કરી શકાતું , માત્ર અનુમાન કરી શકાય છે, કારણકે આ માધ્યમો માત્ર સાક્ષી છે,  તેનાથી તેમનું સ્વરૂપ દ્રશ્ય થતું નથી. છતાં વેદ અને પુરાણોમાં તેમનું વર્ણન આ પ્રમાણે છે :

चतुर्भुजं शङ्खचक्रंगदाघुदायुधम्

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર ભગવાનની ભુજાઓ હોવાથી ભગવાન ચતુર્ભુજ કહેવાય છે.  શ્રીમદ ભાગવત મહાપુરાણ તેમના વિવિધ આયુધોનું વર્ણન છે (સ્કંધ ૮ , અધ્યાય ૨૧) :-

पर्जन्यघोषो जलजः पांचजन्यः

એક હાથમાં પંચજન્ય નામનો શંખ છે. જે વેદમય સ્વરૂપ છે , વાદળ સમાન ગંભીર શબ્દ કરવાવાળો  છે.

सुदर्शनं चक्रमसह्यातेजो

બીજા હાથમાં સુદર્શનચક્ર છે,  જે  અસહ્ય તેજ વાળું છે.  ભગવાન સૂર્યના જાજ્વલ્યમાન વૈષ્ણવી તેજમાંથી વિશ્વકર્માએ આ ચક્ર બનાવ્યું છે. જેનું મહાભારતમાં વર્ણન છે કે:

व्यामान्तरं समास्थय यथामुक्तं मनस्विनः । चक्रं तद्वासुदेवस्य मायया वर्तते विभो। सहस्रारं वज्रनाभमयस्मयम् वव्रे चक्रं

અર્થાત: ભગવાનનું ચક્રનો અંદરનો ભાગ  પાંચ હાથ લાંબો છે અને તે એમની ઈચ્છા અનુસાર પ્રયોગ કરે છે. તે એક હજાર આરાવાળું અને વજ્રની  નાભથી બનાવેલું છે.

कौमोदकी विष्णुगदा तरस्विनी ।

ત્રીજા હાથમાં કૌમોદકી નામની ગદા છે, જે અંત્યંત  વેગવાળી છે. અને ચોથા હાથમાં પહ્મ (રિદ્ધિસિદ્ધની નિશાની ) હોય છે.

विद्याधरोऽसि शतचन्द्रयुक्त स्तुणोत्तमावक्षयसायकौ च ॥३१॥

વિદ્યાધર નામની તલવાર છે , સો ચંદ્રાકાર ચિહ્નોવાળી ઢાલ, અને અક્ષય બાણોથી  ભરપૂર બે  તરકસ છે.

धनुश्च शार्गं स्तनयित्‍नुघोषम

તેમના ધનુષ્યનું નામ શાર્ઙ્ગ છે.  મેઘ સમાન ભયંકર ટંકાર વાળું છે.

તેમના ખડ્ગનું નામ નંદક છે.

श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गम् |

તેની છાતી ઉપર શ્રીવત્સ (ભૃગુ ઋષિની લાતથી વિષ્ણુની છાતીમાં પડેલું ચિહ્ન) તથા કૌસ્તુભમણિ હોય છે.   તેઓ કંઠમાં ઘૂંટણ સુધી પહોંચે તેવી વૈજયંતી  માળા (ઇંદ્રનીલમણિ, માણેક, હીરા , મોતી ,નીલમ , તુલસી તથા કદી ના કરમાય એવા દિવ્ય સુગંધિત પુષ્પોની  બનેલી ) ધારણ કરે છે.

मेघश्यामं पीतकौशेयवासं

તેમનું શ્રી અંગ મેઘ સમાન કાંતિનું  છે.  તેમણે સૂર્યથી અધિક ચમકતું સુવર્ણ રંગનું પીતાંબર ધારણ કરે છે.

नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये |

તેમની આંખો કમળની પાંખડી  સમાન  કોમળ છે, અને તેમના ચરણનો આકાર કમળ જેવો છે.

कोमलाङ्गं विशालाक्षं आजानुबाहुं |

તેમનું અંગ કોમળ છે અને તેમના ચક્ષુ વિશાળ છે. અને તેમના હસ્ત લાંબા (ઢીંચણ સુધી પહોચતા)  છે.

गन्धेऽर्चिते तुलसीकाभरणेन तस्या यस्मिंस्तपः सुमनसो बहु मानयन्ति |

–શ્રીમદ ભાગવત મહાપુરાણ (સ્કંધ તરજો , અધ્યાય ૧૫)

અર્થાત: શ્રી હરિ તુલસીથી પોતાના શ્રી વિગ્રહને સજાવે છે. અને તુલસીની ગંધનો અધિક આદર કરે છે.

ते वा अमुष्य वदनासितपद्मकोश मुद्वीक्ष्य सुन्दरतराधरकुन्दहासम ।
लब्धाशिषः पुनरवेक्ष्य तदीयमंघ्रिद्वन्द्वं नखारुणमणिश्रयणं निदध्यूः ||

અર્થાત : ભગવાનનું મુખ નીલ કમળ સમાન છે, અતિ સુંદર અધર, અને કુન્દ્કલી સમાન હાસ્યથી એમની શોભા અતિ વધે છે. પદ્મરાગ સમાન લાલ લાલ નખોથી શોભિત ચરણ કમળ જોઈ ધ્યાનમાં નિમગ્ન થઇ જવાય છે.

તેમના ચરણમાં ૧૫ ચિહ્નો ધારણ કરેલાં છે.

વામ ચરણમાં ૮ ચિહ્નો છે: ધ્વજ , વ્રજ, તોરણ, સુખવલ્લી, અર્ધચંદ્ર, વ્યોમ , ગોપાદ , અંકુશ, મત્સ્ય
દક્ષિણ ચરણમાં ૭ ચિહ્નો છે: સ્વસ્તિક,અષ્ટદલ , યવ , ગદા , ધનુષ,

લક્ષ્મી , પુષ્ટિ , સરસ્વતી , કાંતિ, કીર્તિ , તૃષ્ટિ , ઈલા , ઉર્જા , વિદ્યા , અવિદ્યા , શક્તિ , અને માયા  ; આ બાર શક્તિઓ  પોતાની  સહસ્ત્ર કલાઓથી પ્રભુની સેવા  કરતી હોય છે  અને અણિમા, મહિમા, લધિમા, ગરિમા, ઈશિત્વ, વશિત્વ, પ્રાકામ્ય, પ્રાપ્તિ એમ અષ્ટમહાસિદ્ધિ , તેમની પાસે  હંમેશા હાથ જોડી સેવા કરવા તત્પર હોય છે.

વિષ્ણુ ભગવાનની ત્રણ પરાશક્તિ છે :  ઋક (સર્જન) , યજુર (સ્થિતિ)  , સામ (સંહાર)

ભગવાન દરેક યુગ , કલ્પમાં અનેક કલા-અવતાર , અંશ-અવતાર અને પૂર્ણ અવતાર લઇને વિવિધ લીલાઓ કરે છે.  તેથી તેમના સહસ્ત્ર કોટી નામ છે : – सहस्रनाम्ने पुरुषाय शाश्वते |

જે  અનેક સ્વરૂપ, અને અપાર લીલાઓના પરિણામ રૂપ  છે  અને અપરિમિત ગુણોનું પ્રમાણ છે.

તેમનો સ્વરૂપનો મહિમા માટે કહેવાય છે કે : विद्विटि्स्त्रग्धाः स्वरुपं ययुरजितपर श्रीर्यदर्थेऽन्ययल्त्नः   |

અર્થાત: તેમને પ્રેમ કરવાવાળા ભક્તો અને દ્વેષ કરવાવાળા  શત્રુઓ , એ બંનેને સમાન સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તદુપરાંત વિષ્ણુ પુરાણમાં જણાવ્યું છે કે:

त्र्प्रयं हि भगवान् कीर्त्तितश्च संस्मृतश्च द्वेषानुबंधेनापि त्र्प्रखिलासुरासुरा दिदुर्लभं फ़लं प्रयच्छति किमुत सम्यग्भक्त्तिमतामिति | १७

અર્થાત: ભગવાન તો દ્વેષાનુબંધનનાં (વેર ભાવથી) કારણથી પણ જો  કોઈ સ્મરણ કરે તો એ સમસ્ત દેવતા અને અસુરોને સમાન દુર્લભ ફળ આપે છે.

न यस्य वध्यो न च रक्षणीयो नोपेक्षणीयादरणीयपक्षः । ॥ २२ ॥
– ભાગવત પુરાણ (આઠમો સ્કંધ , પાંચમો અધ્યાય )

અર્થાત : ભગવાનની દ્રષ્ટિમાં ના કોઈ દંડને પાત્ર છે , ના કોઈ રક્ષાને પાત્ર છે. એમના માટે ના કોઈ ઉપેક્ષા પાત્ર છે , ના કોઈ આદરને પાત્ર છે

તો જે સમ બની ભક્તિ ભાવથી ભજે તેની તો વાત જ શું ?

તેમનું નામ તો સામર્થ્યમાં ભગવાન કરતાં પણ અધિક છે. આથી તો કહેવાય છે “રામ સે બઢકર રામ કા નામ”.  એમના નામનું સ્મરણ માત્રથી સંસારમાં ઉત્પન્ન થતાં દરેક ભયનો નાશ થાય છે, એટલે વિષ્ણુ સહસ્ત્રનામમાં કહ્યું છે કે:

यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् |

અર્થાત: તેમના સ્મરણ અથવા નામ નાં ઉચ્ચાર માત્રથી જન્મ-મૃત્યુ અને સંસારના બંધનમાં  ફરી પડવું પડતું નથી.

अशुचिर्वा शुचिर्वापि सर्वकालेषु सर्वदा
नामसंस्मरणादेव संसारान्मुच्यते क्षणात् ८

-પદ્મ પુરાણ , પાતાળ ખંડ – અધ્યાય ૮૦

અર્થાત – અપવિત્ર હોય કે પવિત્ર , સર્વ કાળે , નિરંતર ભગવાનનું સમાનરં કરવાથી ક્ષણભરમાં ભવનાં બંધનોમાંથી છુટકારો મળે છે

 

अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा |
यः स्मरेत्पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरं शुचिः ||

-પદ્મ પુરાણ , પાતાળ ખંડ – અધ્યાય ૮૦

તદ્દઉપરાંત , શુદ્ધ  કે મલિન, અન્યથા કે સર્વ અવસ્થામાં તેમનું નામ સ્મરણ મનુષ્યને તુરંત “પવિત્ર” કરે છે.

 

 

वर्तमानं च यत् पापं यद् भूतं यद्  भविष्यति |
तत्सर्व निर्दह्त्याशु  गिविन्दानलकीर्तनम्  ||

ભગવાનનું નામ ઉચ્ચારવાથી ભૂત, વર્તમાન અને ભવિષ્યના તમામ પાપ ભસ્મ થઇ જાય છે.

पतितः स्खलितश्चार्तः क्षुत्त्वा वा विवशो गृणन् हरये नम इत्युच्चैर्मुच्यते सर्वपातकात्

-શ્રીમદ ભાગવત (સ્કંધ १2 , અધ્યાય १2 )

અર્થાત: જે મનુષ્ય પડતાં , ગબડતાં , લપસતાં , દુ:ખ ભોગવતાં ,છીંક ખાતા , વિવાશતાથી મોટાં સ્વરે જે “હરયે નામ:” બોલે છે , તેનાં સર્વ પાપથી મુકત થઇ જાય છે .

मौनाद्ध्यानाच्च योगाच्च विद्दि भारत माधवम्।

તેઓ મૌન , ધ્યાન અને યોગ થી પ્રાપ્ત થવાને કારણ , “માધવ” તરીકે ઓળખાય છે.

पुण्डरीकं परं धाम नित्यमक्षयमव्ययम् ।
तद्भावात्पुण्डरीकाक्षो दस्युत्रासाज्जानार्दनः ।।

અર્થાત: હૃદય રૂપ શ્વેત કમળ એમનું નિત્ય આલય અને અવિનાશી પરમ ધામ છે , આથી તેઓ “પુણ્ડરીકાક્ષ” કહેવાય છે. અને દૃષ્ટોનો સદા દમન કરવા માટે “જનાર્દન” કહેવાય છે

आदित्यानां हि सर्वेषां विष्णुरेकः सनातनः।
अजथ्यश्चाव्ययश्चैव शाश्वतः प्रभुरीश्वरः ।।

અર્થાત: સર્વ દેવોમાં ભગવાન વિષ્ણુ જ સનાતન , અજય , અવિનાશી , નિત્ય અને સર્વના ઈશ્વર છે.

જયારે  ભગવાન વિષ્ણુ પોતાની ઈચ્છાથી યોગમાયા વડે ધ્યાનસ્થ થઇ તપ કરે છે. ત્યારે બ્રહ્મા સહિત ચૌદ લોક અને સમસ્ત સૃષ્ટિનો નાશ થાય છે અને તેને આત્યંતિકપ્રલય કહેવાય છે.

निमित्तमरणाश्चान्ये चन्द्रसूर्यौ मही जलम् ।
वायुरग्निस्तथाऽऽकाशं ग्रहास्तारागणास्तथा ।।

અર્થાત: એમના સિવાય ચંદ્રમાં , પૃથ્વી , સૂર્ય , જળ , વાયુ , અગ્નિ , આકાશ , ગ્રહ , અને તારા મંડળ સહુ વિનાશનું કારણ (પ્રલય ) ઉપસ્થિત થતાં નષ્ટ પામે છે.

(વધુ આવતા અંકે ત્રીજો : તારીખ જાન્યુઆરી ૨૧ , ૨૦૧૨)