જાણવા જેવું – સિદ્ધિ અને તેના પ્રકાર

સિદ્ધિઓના મુખ્ય વિભાગ આ પ્રમાણે છે:

૧  વાર્ક્ષી : કામના પૂર્ણ કરવાવાળા કલ્પવૃક્ષ આદિ વૃક્ષોથી જે  સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેને “વાર્ક્ષી ” સિદ્ધિ કહેવાય છે.

૨. સ્વભાવિકી: સ્વભાવ વડે પ્રાપ્ત થતી સિદ્ધિને “સ્વભાવિકી” કહેવાય છે.

૩. દેશ્યા: દેશ કે સ્થાન વિશેષ જે  કાર્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે તેને “દેશ્યા” કહેવાય છે.

૪. તોયોત્થા:  જળની સુક્ષ્મતાથી પ્રાપ્ત થતી સિદ્ધિને “તોયોત્થા” કહેવાય છે.

૫. માનસી: ધ્યાનથી પ્રાપ્ત થતી સિદ્ધિને “માનસી” કહેવાય છે.

૬. કર્મજા: ઉપાસના, તપ , પ્રાપ્ત થતી સિદ્ધિને  “કર્મજા” કર્મથી કહેવાય છે.

માનવીના  સાધારણ સ્વભાવથી જે ઊંચી વાતો છે એ સર્વ સિદ્ધિઓ છે. ઘણી સિદ્ધિ જન્મથી પ્રાપ્ત થાય છે અને બીજી યોગથી પ્રાપ્ત થાય છે. જન્મથી જે પ્રાપ્ત થાય તે સામાન્ય અને કર્મને લીધે પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે , પક્ષીઓ હવામાં ઉડી શકે છે , જળચર પાણીમાં તરી શકે છે, મનુષ્યને જન્મથી સાંભળવાની , બોલાવની અને સમજવાની શક્તિ પ્રાપ્ત છે.

જે સિદ્ધિ  યોગ અને ધારણાથી પ્રાપ્ત થાય તે અદભૂત હોય છે અને માત્ર પોતાના પુરુષાર્થને લીધે પ્રાપ્ત થાય છે. જેમને પોતાની સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે, ઇન્દ્રિયો સાથે સંયોગમાં રહેવા છતાં જે વિષયોમાં વ્યાકુળ નથી, ધારણા , ધ્યાન અને સમાધિનો અભ્યાસ કરી જેને પ્રાણને વશમાં કર્યો છે, તેમેને સર્વ સિદ્ધિઓ  પ્રાપ્ત થાય છે

સિદ્ધિના અનેક પ્રકાર છે. એના ભેદ પણ અનેક છે. કહેવાય છે કે જેટલા યોગ કે ધર્મના સાધન છે તેટલી પ્રકારની સિદ્ધિઓ છે.

તેમાં જે મુખ્ય છે તે જોઈએ : ભગવાન દત્તાત્રય રાજા અર્લકને જ્ઞાન આપતા કહે છે:

आणिमा लघिमा चैव महिमा प्राप्तिरेव च  |
प्राक्याम्यच्च तथे शित्वं वशित्वच्च तथापरं || २९ ||

— માર્કંડેય પુરાણ (૪૦ મો અધ્યાય)

(૧) અણિમા: આ સિદ્ધિથી યોગી સૂક્ષ્મમાં  સૂક્ષ્મ રૂપ  લઇ શકવાની શક્તિ પ્રાપ્ત કરે છે. હનુમાનજીએ આ સિદ્ધિનો પ્રયોગ કરી રાવણની લંકા , મહેલ , ઉદ્યાન અને વાટિકામાં પ્રવેશ કર્યો હતો.

(૨) મહિમા: આ સિદ્ધિથી યોગી યોગી પોતાના શરીરને લાંબુ કરવું હોય તેટલું લાંબુ કરી શકે છે. હનુમાનજીએ સર્પોની માતા સુરસા સામે અનેક જોજન લાંબુ શરીર આ સિદ્ધિ વડે ધારણ કર્યું હતું.

(૩) લઘિમા: આ સિદ્ધિ વડે યોગી પોતાના શરીરને રૂના જેવું હલકું બનાવી જ્યાં ફાવે ત્યાં હવામાં ઉડી શકે છે. હનુમાનજીએ  આ સિદ્ધિ વડે સમુદ્ર પાર કર્યો હતો.

(૪) ગરિમા: આ સિદ્ધિથી યોગી પોતાના શરીરનું વજન જેટલું ભારે બનાવવું હોય તેટલું ભારે કરી શકે છે. રાવણના દરબારમાં અંગદે પોતાનો એક પગ આ સિદ્ધિથી એટલો ભારે કર્યો હતો કે કોઈ પણ તેને એક તલ જેટલો બાજુ પર મૂકી શક્યો ન હતો.

(૫) પ્રાપ્તિ: આ સિદ્ધિનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે. આંખ, કાન, નાક, રસ, અને ત્વચા આ પાંચ ઇન્દ્રિયોના વિષયોને ધારે ત્યારે પ્રાપ્ત કરી શકે તે સિદ્ધિનું નામ પ્રાપ્તિ.  જાનકીજીનાં લગ્ન પ્રસંગે અયોધ્યાથી આવેલી જાન માટે આ સિદ્ધિ વડે દરેકની ખાવા,પીવા,રહેવા, અને આનંદ માટેની દરેક વ્યવસ્થા આ સિદ્ધિ વડે થઇ હતી.

(૬) પ્રાકાભ્ય: સ્વર્ગ કે લૌકિક સુખ ઈચ્છાનુસાર ભોગવવાની સિદ્ધિ. આ સિદ્ધિ દ્વારા કદર્મ ઋષીએ દેવ્હુતીને સમસ્ત સુખોનો અનુભવ કરાવ્યો હતો.

(૭) ઈશિતા:  ભગવાનની માયા તથા તેના કાર્યોને પોતાની ઈચ્છાનુસાર પ્રેરિત કરવાની શક્તિ. આ સિદ્ધિ વડે ભગવાન કૃષ્ણે મથુરા અને ગોકુળમાં સહુને ચીરનિંદ્રામાં પોઢાવી, વાસુદેવજીને મથુરાના કારવાસમાંથી ગોકુલ જવાનો રસ્તો કરી આપ્યો હતો.

(૮) વશિતા:  પંચ મહાભૂતથી બનેલા જેટલા પણ પદાર્થ છે તેને વશ કરવાનું સામર્થ્ય જેમાં કે યોગી પોતે આસક્ત નથી થતાં. ભારદ્વાજમુનીએ રામજીને મળવા જતા ભરતજીના સ્વાગત – સત્કાર માટે અનેક પ્રકારના ભોગ્ય પદાર્થો ઉપસ્થિત કર્યા, પણ ભરતજીએ તેમની સામે આંખ ઉઠાવીને જોયું સુદ્ધાં  નહિ

બીજી અનેક પ્રકારની સિદ્ધિઓ છે :

(૯) અનૂમીર્ત્વ:  દરેક દેહ્ધારીને ભૂખ-તરસ, થાક,શૌચકર્મ, અને શોક-મોહ હોય છે. તે જીવનમાં સતત આવતી રહે છે. આ સિદ્ધિથી આ છ ઊર્મીઓ યોગીના શરીરમાં જાગતી નથી. તેને અનૂર્મિતા પણ કહેવાય છે. ઋષિમુનીઓ હજારો વર્ષો  સુધી  આ સિદ્ધિ વડે તપ કરી શકે છે.

(૧૦) દૂર-શ્રવન: દૂરની વાતો સાંભળી શકવાની સિદ્ધિ.

(૧૧) દૂર-દર્શન: દૂરની વાતો જોઈ શકવાની સિદ્ધિ. મહાભારતમાં ધૃતરાષ્ટ્રનાં સારથી સંજયને મહર્ષિ વ્યાસે આ સિદ્ધિ આપી હતી જેથી તે મહાભારતના યુદ્ધનું અક્ષરેઅક્ષર વર્ણન ધૃતરાષ્ટ્રને જણાવ્યું હતું.

(૧૨) મનોજય: મન ઈચ્છે ત્યાં જઈ શકે.

(૧૩) પરકાયા-પ્રવેશ: ઈચ્છાનુસાર અન્યના શરીરમાં પ્રવેશ કરી શકે

(૧૪) સ્વચ્છંદ-મૃત્યુ: આ સિદ્ધિ વડે મનુષ્ય ધારે ત્યારે જ તેનું મૃત્યુ થાય. મહાભારતમાં ભીષ્મ પિતામહને આ સિદ્ધિ પ્રાપ્ત હતી. આથી મહાભારતના યુદ્ધમાં અર્જુન સામે હારીને બાણની શૈયા પર  હોવા છતા  તેમેને મૃત્યુને રોકી રાખ્યું હતું. સૂર્ય ઉત્રયામાં પ્રવેશ થાય બાદ જ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી મૃત્યુને સ્વીકારેલું. યોગીની ઈચ્છા વિના મૃત્યુ પાસે ફરકી પણ ના શકે.

(૧૫) દેવક્રીડા-દર્શન:  આમ તો ચર્મચક્ષુથી દેવાના દર્શન થઇ શકતા નથી, પણ આ સિદ્ધિ વડે દેવોના પ્રત્યક્ષ દર્શન થાય છે.

(૧૬) ત્રિકાલજ્ઞત્વ: ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળની વાતો જાણવાની સિદ્ધિ. મહાભારતમાં સહદેવ પાસે આ સિદ્ધિ હતી પરંતુ તેને શ્રાપ હતો કે જો તે કોઈને ભવિષ્યમાં થનારી ઘટના જણાવશે તો તેનો તરત જ નાશ થશે.

(૧૭) યથા-સંકલ્પ: આ સિદ્ધિ વડે યોગી જે સંકલ્પ કરે તે સફળ પાર પડે.

(૧૮) આજ્ઞા-પ્રતિહતા : આ સિદ્ધિ વડે યોગી જેને આજ્ઞા કરે કે તરત તેનું પાલન થાય.

(૧૯) અપ્રતિહતાગતિ: આ સિદ્ધિ વડે યોગી ધારે તે લોકમાં જઈ શકે. દેવર્ષિ નારદને આ સિદ્ધિ પ્રાપ્ત છે આથી કોઈપણ રોકટોક વગર તે કોઈ પણ લોકમાં પ્રવેશ કરી શકે છે.

(૨૦) અગ્નિ-સ્તંભન:  આ સિદ્ધિ વડે યોગી અગ્નિને અને તેના અસહ્ય તાપને રોકી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળવાસીઓને દાવાનળમાંથી આ સિદ્ધિ વડે બચાવ્યા હતા.

(૨૧) સૂર્ય-સ્તંભન: આ સિદ્ધિ વડે યોગી સૂર્યને તેની ગતિમાં રોકી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણે મહાભારત સમયે અર્જુનની જયદ્રથને સુર્યાસ્ત પહેલા મારવાની પ્રતિજ્ઞા પુરી કરવા , સૂર્યની ગતિને રોકી લીધી હતી અને સાથે વાતાવરણમાં અંધારું કરી નાખ્યું હતું સહુને લાગ્યું કે સુર્યાસ્ત થઇ ગયો છે.

(૨૨) જળ-સ્તંભન: આ સિદ્ધિ વડે યોગી જળને તેની ગતિમાં રોકી શકે છે. ગંગાજી ઓચિંતાં પૃથ્વી ઉપર પડવાથી જહ્નુ ઋષિના તપમાં ભંગ થયો અને ગુસ્સામાં ઋષિ ગંગાજી આ સિદ્ધિ વડે પી ગયા હતા.

(૨૩) વિષ-સ્તંભન: આ સિદ્ધિ વડે યોગી વિષને રોકી કે પચાવી શકે છે. ભગવાન શંકરે સમુદ્રમંથન વખતે જે હળાહળ વિષ નીકળ્યું હતું તે તેમેને આ સિદ્ધિ વડે ધારણ કર્યું હતું અને પોતાના કંઠમાં રોકી રાખ્યું હતું.

(૨૩) નિદ્વંદ્વતા: શીત-ઉષ્ણ , રાગદ્વેષ, સુખદુઃખ વગેરે દ્વંદ્વને વશ કરવાની સિદ્ધિ

(૨૪) સંસિદ્ધિ: આ સિદ્ધિ વડે યોગી મોક્ષને પ્રાપ્ત કરી શકે છે

(૨૫) અપરાજિતા: આ સિદ્ધિ વડે યોગીને કોઈ પણ વ્યક્તિ , કોઈ પણ શક્તિ , અસ્ત્ર , કે શસ્ત્ર થી પરાજિત કરી શકતું નથી

(૨૬) પરિચિત્તાધભિજ્ઞતા: આ સિદ્ધિથી યોગી પોતના ચિત્તમાં બીજાના ચિત્તનો ભાવ જાણી શકે છે.

references :

૧. રામાયણ
૨.  મહાભારત
૩. “જન કલ્યાણ” – પુનિત ભાગવત

4. માર્કંડેય પુરાણ


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading